“મુશ્કેલી અને પ્રતિકૂળતા એ સદગુણો અને સફળતાનો પાયો છે” - એક જાપાનીઝ કહેવત. આ કહેવતને હકીકતમાં યથાર્થ કરતી ઘટના મારા જીવનમાં જે ઘટી તે આપ સૌ સુજ્ઞ વાચકો સમક્ષ મૂકવા માટેનો મારો આ સન્નિષ્ઠ પ્રયાસ છે. તે માટે હું હર્ષની લાગણી અનુભવું છું. હું સાબરમતી મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે જેલમાં જુદી જુદી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસકેન્દ્રો દ્વારા ચાલતા જુદાં જુદાં અભ્યાસક્રમોમાં જેલના તદ્દન પ્રતિકૂળ અણગમતા અને નિષ્ક્રિય વાતાવરણમાં હું ૫૦ વર્ષની ઉમરે અભ્યાસ કરી રહ્યો હતો અને એક પછી એક ડિગ્રી ડિપ્લોમા અને સર્ટિફિકેટ અભ્યાસક્રમો સફળતાપૂર્વક પૂર્ણ કરી રહ્યો હતો ત્યારે મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે હું એક વિશ્વ રેકોર્ડ બનાવવા તરફ આગળ વધી રહ્યો છું અને મેં અભ્યાસમાં જેલમાં વિશ્વ રેકોર્ડ તોડ્યો. મારો જેલનો અનુભવ જે બીજા બંદીવાનોથી ઘણો જ અલગ પડે છે. વળી મેં જેલમાં અભ્યાસમાં વિશ્વ રેકોર્ડ તોડ્યો. એ ઘટનાએ પણ મને આ પુસ્તક લખવાની પ્રેરણા આપી અને મારા આ અનુભવને દુનિયા સમક્ષ પ્રગટ કરવાની મારી અગમ્ય ઇચ્છાને હું રોકી શક્યો નહીં. અંતે આ પ્રેરણાદાયી પુસ્તકનો જન્મ થયો.જેલમાં હાંસલ કરેલી મારી આ સિદ્ધિ વિશેનું પુસ્તક લખવાનો વિચાર અને પ્રેરણા હું જેલમુક્ત થયો પછી ગુજરાત નૅશનલ લૉ યુનિવર્સિટી (જી.એન.એલ.યુ.) ગાંધીનગર ખાતે એક વર્કશોપમાં ભાગ લેવા ગયો હતો ત્યાં એક દક્ષિણ ભારતના રાજ્યની જેલના વડા અને ગુજરાતની જેલોના તે સમયના વડા શ્રી પી. સી. ઠાકુરસાહેબે મને આપી. તેમણે કહ્યું કે મારે મારી જેલમાં મેળવેલ શૈક્ષણિક સિદ્ધિઓ વિશે એક પુસ્તક લખવું જોઈએ જેથી જેલના બંદીવાનો વિદ્યાર્થીઓ અને જીવનમાં સફળતા અને સિદ્ધિ મેળવવા ઉત્સુક વ્યક્તિઓને પ્રેરણા મળે. આ વાતને આઠ વર્ષ વીતી ગયાં કારણ કે મારી પૂર્ણ સમયની નોકરી ચાલુ હોવાથી અને હું વધુને વધુ અભ્યાસક્રમો પૂરઝડપે પૂર્ણ કરવામાં વ્યસ્ત હતો. અત્યારે હું નિવૃત્ત છું અને સંજોગોવસાત વિશ્વવ્યાપી કોરોનાનું લૉકડાઉન ચાલુ હોય મને શાંતિથી આ પુસ્તક લખવાનો મોકો મળી ગયો. હવે આ શુભેચ્છોકોની સલાહ મુજબ પુસ્તક લખવાનો મેં નિર્ણય કરી પ્રારંભ કર્યો. જેલમુક્ત થયા પછીના આઠ વર્ષમાં મેં ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં નોકરી કરતાં કરતાં મારા અભ્યાસનો સિલસિલો નિરંતર ચાલુ રાખીને બીજી વધારાની ૨૩ શૈક્ષણિક સિદ્ધિઓ મેળવી જે મારી જેલની સિદ્ધિની યાદીમાં ઉમેરતા આ આંકડો ૫૪ સુધી પહોંચ્યો છે. બીજું મારા સંપર્કમાં આવેલી અને મારી અભ્યાસની સિદ્ધિની હકીકતથી વાકેફ થયેલ અસંખ્ય વ્યક્તિઓ જીવનમાં ફરીથી અભ્યાસમાં જોડાયા અને જેઓનો અભ્યાસ ચાલુ હતો તેઓ તેઓના ચાલુ અભ્યાસની સાથે બીજા અભ્યાસક્રમમાં જોડાયા. વ્યક્તિઓની આટલી બધી ઉત્સુકતા અને ઉમંગ જોઈ મને પણ આ મારી સિદ્ધિની જાણ વધારેમાં વધારે લોકોને થાય તે માટે આ પુસ્તક લખવાનું અનિવાર્ય લાગ્યું. આ પુસ્તક લખવાનું અને તમારી સમક્ષ મૂકવાનો મુખ્ય હેતુ એ છે કે આ પુસ્તક દ્વારા વાચકોને પ્રેરણા નવું જોમ અને જુસ્સો મળે અને જીવનમાં ગમે તેવા કપરા સંકટભર્યા પ્રતિકૂળ સંજોગોમાં અને સમયમાં પણ પોતાના ધ્યેય કે લક્ષ્યને સિદ્ધ કરવા પ્રોત્સાહન મળે. તે માટે દીવાદાંડી બનવાની ઇચ્છા જ આ પુસ્તકની ફળશ્રુતિ છે. -ભાનુ પટેલ “મુશ્કેલીઓ ઘણીવાર સામાન્ય માણસને અસામાન્ય પ્રાપ્તિ માટે તૈયાર કરે છે.” - સી. એસ. લ્યુઇસ
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.