જો ભાષા ના હોત તો શું થાત? આ પ્રશ્નના ઉત્તરોમાં જ ભાષાનું મૂલ્ય સમાયેલ છે. ભાષાનું આપણા જીવનમાં ખુબ જ મહત્વ છે. માત્ર મનુષ્ય જ એક એવુ સામાજિક પ્રાણી છે જેને ભગવાને વાણી અને ભાષાનો અમૂલ્ય વારસો આપ્યો છે. દેશ અને દુનિયામાં ઘણી બધી ભાષાઓ બોલાય છે. વિવિધતા નાવિન્યતા એ ભાષાના આગવા લક્ષણો છે. આદિમાનવથી શરૂ કરી આજે વિજ્ઞાન અને ટેકનોલોજીની દુનિયા સુધીની સફર ભાષાને કારણે જ સફળ બની છે. તેવું કહીએ તો કાંઈ ખોટું નથી. બધિર સમુદાય તેમની શ્રવણશક્તિના અભાવને કારણે આ અણમોલ વારસો પ્રાપ્ત કરવામાં મુશ્કેલી અનુભવે છે. પણ તેમને કુદરત તરફથી મળેલી “ સાંકેતિક ભાષા ” નો ઉપયોગ કરી પ્રત્યાયન કરવા પ્રયત્ન કરે છે. સમગ્ર દેશમાં આ સાંકેતિક ભાષાનો એક જ સરખા સંકેતો દ્વારા ઉપયોગ થાય એ હેતુસર “ ભારતીય સાંકેતિક ભાષા ” (Indian Sign Language) ISL નો ઉપયોગ થાય હેતુસર માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ISL ને ૨૩મી ભાષા તરીકે સ્વીકારી છે. તેનો પ્રચાર અને પ્રસાર થાય તે જરૂરી છે. ભારતીય સાંકેતીક ભાષામાં ફીંગર સ્પેલીંગનો ઉપયોગ થાય છે તે અંગ્રેજી મૂળાક્ષરોના સંકેતોથી થાય છે. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા બાળકો આ સંકેતોને પૂર્વપ્રાથમિક કક્ષાથી જ શીખી અને સમજી શકે છે પરંતુ પ્રાદેશિક ભાષામાં અભ્યાસ કરતા બાળકોને મુશ્કેલી પડે છે.