સ્મૃતિ. કેવી અદભુત ભેટ ભગવાને માનવ જાતને આપી છે. બાલ્ય અવસ્થાથી માંડી વાર્ધકય સુધી કેટલાય સુખદ અને દુઃખદ સ્મરણો આપણા મનના ભંડકીયામાં પડેલા હોય છે. જે સમયાનુસાર આપણને યાદ આવે જ છે. કોઈ સ્થળે પ્રિયપાત્ર સાથે વિતાવેલી મધુર પળો આપ વીસરી શકો? નહીં ને. માણસ માત્ર ને અતીતમાં વિહરવાનું ગમે છે. યાદ કરવું ગમે છે. આપણા કવિ ન્હાનાલાલ ની પંક્તિ ‘માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાવો!’ યાદ આવે છે. મિત્રો કહેતા હતા આત્મકથા લખો. પણ મેં વિચાર્યું આત્મકથા તો પછીની વાત છે લખાય ન યે લખાય. પણ તે પહેલાં મને ગમતા કેટલાય પ્રસંગો લખી ગ્રંથસ્થ કરું. ખાસ કરીને શિક્ષણ અને સાહિત્યને લગતી મારા જીવનમાં બનેલી સત્યઘટનાઓ આમાં છે. આવા લેખનમાં આત્મશ્લાઘામાં ન સરી પડાય એની પણ કાળજી રાખવી પડે છે. વાચકોને ગમશે કે કેમ? એ પણ મૂંઝવતો પ્રશ્ન. છતાં પણ મારા વીસ પુસ્તકોની સાહિત્ય યાત્રા પછી મિત્રોના/વાચકોના આગ્રહથી આ પ્રકારનું લખવા પ્રેરાયો છું. નેકસસ સ્ટોરીઝ પબ્લિકેશન સુરતના કૌશલભાઈ જોશીએ આ પુસ્તક પ્રકાશિત કરવા રસ ધરાવ્યો તેથી એમનો અને મારા વિશાળ વાચક વર્ગનો આભારી છું. મારા અન્ય પુસ્તકોની જેમ ‘સ્મૃતિ મંજુષા’ પણ ગુજરાતના સુજ્ઞ વાચકોને ગમશે જ એવી આશા છે.
Piracy-free
Assured Quality
Secure Transactions
Delivery Options
Please enter pincode to check delivery time.
*COD & Shipping Charges may apply on certain items.